
કાલિયાવાડી કલેકટર ઓફિસની બાજુમાં જલારામ મંદિરના મૂખ્ય માર્ગ પર ટ્રાન્સફોર્મર વૃક્ષોથી ઢકાઈ જતાં વારંવાર વિજળી ગુલ: લોકોની છિનવાઈ રહેલી રોજી રોટી
રિપોર્ટ : અંકુર નાયક – SPP BHARAT NEWS
નવસારી : કાલિયાવાડી વિસ્તારમાં આવેલ કલેકટર કચેરી ની બાજુમાં જલારામ મંદિર ના મુખ્ય માર્ગ ઉપર જીઇબી (DGVCL) નું આ વિસ્તારમાં વિજ સપ્લાય માટે ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલું છે. જે ઘણાં સમયથી જર્જરીત હાલતમાં છે, અને એની આજુબાજુ મોટા મોટા વૃક્ષો ઉગી નીકળ્યા છે.
જીઈબી ના વાયર તથા ટ્રાન્સફોર્મર ને વારંવાર આ વૃક્ષોની ડાળીઓ અડતાં દિવસમાં અનેક વખત વિજળી ગુલ થઈ જાય છે. જેને કારણે આ વિસ્તારના રહીશો ના રોજીંદા જીવન પર મોટી અસર થઈ રહી છે. ધંધા રોજગાર કમાવવા મોંઘા ભાવની લોન ઉપર દુકાનો લઈ બેઠેલા નાના મોટા સૌ કોઈ ધંધાદારી, દિવસ દરમિયાન અનેક વખત અને લાંબા સમય સુધી વિજળી ગુલ રહેતાં લોકોનાં ધંધા રોજગાર પડી ભાંગતા લોકો નું જીવન દોહ્યલું બની ગયું છે. તેમનો જીવન નિર્વાહ કરવો કપરો બન્યો છે, બેંક ના હપ્તા ભરતા નવનેજા પાણી ઉતરી રહ્યા છે.
ઉપરોક્ત પરિસ્થિતિનો સામનો કરી રહેલ આ વિસ્તારનાં તમામ લોકો DGVCL ના કઠળેલા કારભાર થી ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાની હકીકત સામે આવી રહી છે.
નિયમિત વિજળી મેળવવા અને એનો ઉપયોગ કરવાનો દરેક નાગરિકનો વિજ ગ્રાહકોનો અબાધિત અધિકાર છે. તેમ છતાં જીઇબી DGVCL ને વાંરવાર રજુઆત કરવા છતાં પણ નફ્ફટ તંત્ર દ્વારા આ સમસ્યા અંગે આંખ આડા કાન કરી, આ બાબતે કોઈ કામગિરી ન કરી, આમજનતા ના અધિકારો ઉપર ખુલ્લી તરાપ મારવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ સાંભળવા મળે છે.
આ વિસ્તારના તમામ લોકો DGVCL પાસે તેમની સમસ્યાનું સમાધાન લાવવા જરૂરી લાઈન મેન્ટેનન્સ કરાવી વહેલામાં વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે એવી અપેક્ષા સહ માંગ ઉઠાવી રહ્યા છે. તેમ છતાં સમયસર સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ જશે તો જરૂર પડ્યે ગ્રાહક સુરક્ષા કાનુન હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી માટે સાંગઠનિક ચળવળ પણ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
#navsaricity #navsaridistrict

Author: SPP BHARAT NEWS
